ઈરાને લૂંટી હતી ‘સોને કી ચીડિયા’,
ભારતનાં કારણે ચમકી રહ્યું છે તે.....
દિલ્હીને લૂંટી નાદિરશાહે ઈરાનને કઈ
રીતે સજાવ્યું તેની આછેરી ઝલક
ભારત વિશ્વમાં એક સમયે ‘સોને કી
ચીડિયા’ તરીકે ઓળખાતું હતું. દેશમાં દુધ અને ઘીની નદીઓ વહેતી હોવાનું કહેવાતું,
ચારેય તરફ સુખ-સમૃધી ઉછાળા મારતી હતી. ભવ્ય ભારતની આ જ જાહોજલાલીથી આકર્ષાઈને,
લલચાઈ પરદેશી શાસકોની નજર હમેંશા ભારત પર રહેતી હતી. ભારતના ઈતિહાસ પર નજર કરીએ તો
જાણવા મળશે ભારતને પોતાની આજ સમૃદ્ધીને કારણે કેટલીય વખત વિદેશી આક્રમણખોરોની
સામનો કરવો પડ્યો હતો.
આ આક્રમણખોરોનો મુખ્ય ઉદ્દેશ ભારત પર
લૂંટ મચાવી ધનદૌલતના ભંડારો ભરી જવાનો રહેતો. એક સમયના ભારતની લૂંટાયેલી આવી
દોમદોમ સાહ્યેબી આજે પણ વિશ્વના કેટલાય રાષ્ટ્રોની શોભા વધારી રહી છે. એક સમયે
પર્શિયા તરીકે ઓળખાતા આજના ઈરાનમાં ભારતની આવી જ સંપતિના ભંડારો ચમકી રહ્યા છે.
ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલું
‘ટ્રેઝરી ઑફ નેશલન જ્વેલ્સ’ દુનિયાનું સૌથી મોટું આભુષણોનું સંગ્રહાલય છે. અને
સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, આ સંગ્રહાલયની શોભા વધારી રહેલા હીરા, માણેક, સોના
અને અને એવી જ અન્ય બેશકિંમતી ધાતુઓના આભુષણોમાં મોટાભાગના ભારતના છે. સદીઓ પહેલા
ઈરાની બાદશાહો અને લૂંટારૂઓ દ્વારા લંટવામાં આવેલા ભારતની દાસ્તાન આજે પણ આ
સંગ્રહાલયમાં ગુંજી રહી છે.
ભારતીય વૈભવની લૂંટથી સજાવાયેલા ઈરાનના
આ સંગ્રાહલયમાં દુનિયાનો સૌથી મોટો ગુલાબી હીરો પણ ચમકી રહ્યો છે. આ હીરાને પણ
ભારતમાંથી જ લૂંટવામાં આવ્યો હતો. ‘દરિયા-એ-નૂર’ના નામે ઓળખાતા આ હીરાને વિશ્વના
સૌથી મોટા હીરા કોહીનૂરનો ભાઈ માનવામાં આવે છે. કોહીનૂર અને દરિયા-એ-નૂર એમ
દુનિયાની સૌથી મોટા અને બેશકિંમતી હિરા નાદિરશાહ ભારતમાંથી લૂંટી ગયો હતો.
‘દરિયા-એ-નૂર’નું વજન લગભ 182 કેરેટ જેટલું થાય છે. આ સમગ્ર હીરો ગુલાબી રંગનો છે
અને ગુલાબી રંગનો હીરો ભારે દુર્લભ માનવામાં આવે છે. આ હીરાને જે ફ્રેમમાં
સજાવવામાં આવેલો છે, તે ફ્રેમમાં અન્ય 547 હીરા અને ચાર માણેકથી મઢવાવામાં આવી છે.
કહેવાની જરૂર નથી કે આ હીરા અને માણેકો ક્યાંથી લૂંટવામાં આવ્યા હશે.
સેન્ટ્રલ બેન્ક ઑફ ઈરાનની સીધી દેખરેખ
હેઠળના આ વિશ્વના સૌથી મોટા આભૂષણોના સંગ્રહાલયમાં મુખ્ય આર્કષણ છે 34 કીલો સોનાથી
બનાવાયેલું ગ્લોબ. પૃથ્વીની પ્રતિકૃતિ જેવું આ ગ્લોબ અઠારમી સદીમાં ઈરાનના બાદશાહ
અને ભારતના લૂંટારા નાદિરશાહે બનાવ્યું હતું. આ ગ્લોબને 51, 366 કિંમતી હિરા,
પન્ના અને માણેકથી સજાવવામાં આવ્યું હતું. પૃથ્વીની પ્રતિકૃતિ રૂપે બનાવાયેલા આ
ગ્લોબમાં મહાસાગરો અંકિત કરવા માટે પન્નાનો ઉપયોગ કરાયો હતો. જ્યારે મહાસાગરોમાં
આવેલા બધા જ ટાપૂઓ માણેકથી બનાવવામાં આવ્યા હતા. અને બધા વચ્ચે ઈરાનને એ લૂંટારા
બાદશાહે હિરા વડે બનાવવ્યું હતું. આ ગ્લોબ બનાવવા માટે વપરાયેલા કીંમતી પથ્થરો
ભારતમાંથી લૂંટ ચલાવી ઈરાન લઈ જવામાં આવ્યા હતા. ભારતને લૂંટીના નાદિરશાહે આ ગ્લોબ
બનાવ્યું હતુ. ગ્લોબની આંખોને આંજી નાખતી ચમક પાછળ ભારતની લૂંટ, કરુણતા,
બદકિસ્મતીની કહાણી છુપાયેલી છે.
આ વિશ્વપ્રસિદ્ધ સંગ્રાહલયમાં ગ્લોબ
અને દરિયા-એ-નૂર કે મયૂરાસન માત્રનો જ સમાવેશ નથી થતો. મ્યુઝિયમોની અલગ અલગ
ફ્રેમમાં તેમજ સ્વતંત્રરૂપે ભારતમાંથી લૂંટવામાં આવેલા અસંખ્યા નાના મોટા હીરા,
માણેક અને અન્ય કીંમતી પથ્થરો ઈરાનની શોભા વધારી રહ્યાં છે. આ બેશકિંમતી પથ્થરો મોટાભાગે
આપણા આંધ્રપ્રદેશની ગોલકોન્ડાની ખાણોમાંથી મળ્યા હતા. આ આભુષણોના સંગ્રાહલયમાં
માત્ર ભારતીય આભૂષણો જ નહી, પરંતુ, તલાવારો અન્ય હથિયારો, મુકુટો, પટાના બકલ,
મીણબતીઓના સ્ટેન્ડ અને તેમા મઢવામાં આવેલા કિંમતી પથ્થરોમાં પણ ભારતમાં મચાવવામાં
આવેલી લૂંટની દાસ્તાન વાંચી શકાય છે.
સમય 1739નો હતો અને ભારતમાં એક સમયની
સૌથી શક્તિશાળી અને સૌથી સમૃદ્ધ સલ્તનત મુઘલ સામ્રાજ્ય નરી આંખે પોતાનો અસ્તકાળ
જોઈ રહ્યું હતું. મુઘલ સામ્રાજ્યને નબળુ પડતુ જોઈ ઈરાનના બાદશાહ નાદિરશાહે દિલ્હી
પર આક્રમણ કરી દીધુ અને બાદશાહ મુહમ્મદ શાહને પરાજીત કર્યા. નાદિરને 20 કરોડનો દંડ
ભરવા મુઘલ સલ્તનત અસમર્થ હતી. જેથી નાદિરશાહે દિલ્હીની સામાન્ય જનતાની સાથે શાહી
મહેલ પર પણ લૂંટ ચલાવી. એક સમયે પોતાની બહાદુરીના ઝંડા ફરકાવતી મુઘલ સલ્તનતના
બાદશાહ મુહમ્મદ શાહે નાછુટકે પોતાના મહેલની ચાવી નાદિરને સોંપી દીધી. અને નાદિરે
મન ભરીને દિલ્હી અને મુઘલ સલ્તનત પર લૂંટ ચલાવી હતી. લૂંટ મચાવી ધરાયેલો નાદિર
ભવ્ય ભારતની સંપતિ પોતાના વતન તહેરાન લઈ ગયો હતો જેમાં બહુમુલ્ય જવેરાત, આભૂષણો,
ધન, સોનું, ચાદી અને દિલ્હી દરબારનું મયુરાસનનો પણ સમાવેશ થતો હતો. નાદિરે પોતાની
લંટમાં જાનવરોને પણ નહોતા છોડ્યા. ઈરાનના આ બાદશાહે ભારત પર એવી તે લૂંટ મચાવી હતી
કે, કહેવાય છે કે, તહેરાન પરત ફર્યા બાદ નાદિરે ત્રણ વર્ષ સુધી ઈરાનની પ્રજા પર
કોઈ કર નહોતો નાખ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો