રવિવાર, 11 સપ્ટેમ્બર, 2022

સોન કંસારીનો ઇતિહાસ





જામનગરની દક્ષિણમાં, ૬૦ માઇલ દૂર વેલા, ભાણવડમાં, બરડા ડુંગરમાં આવેલા ઘુમલી અને નવલખાની નિકટમાં જ, કાંઇક ઐતિહાસિક અને કાંઈક દંતકથાની દ્રષ્ટિએ મહત્વ ધરાવતાં એવાં સોન કંસારીનાં મંદિરોની હારમાળા આવેલી છે.

 

ચાલુકય કાળ પહેલાંના મધ્યકાળમાં એટલે કે સૌરાષ્ટ્રના મૈત્રક અને સેધવકાળમાં, શિલ્પ સ્થાપત્યના જે અસંખ્ય અવશેષો જોવા મળે છે તેમાં સોન કંસારીનાં મંદિરોનું સ્થાન પણ છે.

 

નિષ્ણાત-જાણકારોનાં કહેવા મુજબ, આ સોન કંસારીનાં મંદિરો આઠમાં થી તેરમાં સૈકા વચ્ચેના હોવાના સંભવ છે.

 

ઘૂમલીમાં જે દેરાણી-જેઠાણીની વાવ છે ત્યાંથી વીણોયા ડુંગર્ગ જાય છે. આ વીણોયા ના માર્ગે એક કિલ્લો આવેલે છે. આ કિલ્લામાં, લોકવાયકા મુજબ સોન કંસારીના એકસો જેટલાં દહેરા (ડેરા) હતાં.

 

આ સોન કંસારી કોણ ? એ પ્રશ્ન રસપ્રદ છે તેટલો જ રસપ્રદ એના જવાબ પણ છે.

 

લોકોમાં એવી દંતકથા પ્રચલિત છે કે આરંભડા નામનાં ગામમાં દુદા વાઢેર નામના એક માણસને ત્યાં એક કન્યાનો જન્મ થયેલો.

 

જન્મ સમયે આ કન્યાને બે દાંત હોવાનું બહાર આવેલું. જન્મતા વેંત કન્યાને બે દાંત કેવી રીતે આવ્યા? એ કોયડો થોડોક મૂંઝવનારો બની ગયો.

 

આ અદભુત અને કંઈક અંશે અસાધારણ પણ ગણી શકાય તેવી ઘટનાની વાત વહેતી વહેતી રાજાના કાને પહોંચી. બ્રાહ્મણોના કહેવાથી વહેમાઈને રાજાએ આ નવજાત કન્યાને "હદપાર" (દેશ નિકાલ) કરવાનો નિર્ણય કર્યો.

 

આ નવજાત કન્યાને એક મોટી પેટીમાં પૂરીને, સમુદ્રમાં વહેતી મૂકી દેવામાં આવી. તે પેટી તણાતી તણાતી મીયાણીમાં એક કંસારો સમુદ્ર સ્નાન કરવા આવેલો તેને હાથ આવી.

 

 

દંત કથા વધુમાં કહે છે કે આ કન્યા એક કંસારાને ત્યાં ઉછરી હોવાથી અને વળી તેના શરીરનો રંગ કુંદન, એટલે કે સુવર્ણ (સોના) જેવો હતો. આથી તેનું નામ સોન કંસારી રાખવામાં આવેલું.

 

એવું કહેવાય છે કે તે સમયનો મીયાણીના રાજા પ્રભાત ચાવડા,  આ કન્યા પર મોહિત થયો હતો.  પણ સોન કંસારીએ તેની સાથે જીવન જોડવાનો ઈન્કાર કરેલો. આથી મીયાણી ના રાજા પ્રભાત ચાવડાના કોપથી બચવા માટે  સોન કસારીના પિતા આ કન્યાને લઇને ઘૂમલીના રાજાને શરણે આવીને રહેલાં.

 

આગળ જતા સોન કંસારી ઘૂમલીના રાજાને વરી. તેણે બરડા ડુંગરમાં શહેર બંધાવ્યું, દેવાલયો તથા તળાવ વિગેરે બંધાવ્યા અને પોતાનું નામ કાયમ રાખ્યું. હાલ પણ આ સ્મૃતિઓ તાજી કરાવતાં તળાવ અને ખંડિયરો ઊભાં છે.

 

સોન–કંસારીનાં એકસો જેટલાં દહેરાં માંથી કેટલાંક ઉભાં હોવાનું જણાય છે. પણ મોટા ભાગનાં પડી ગયેલાં જણાય છે.

 

દહેરામાં એક સ્થંભમાં લેખ છે. જેના અક્ષરો પરથી સંવત ૧૩૪૦ના ફાગણ વદ ૧૧ સોમવાર એમ વંચાય છે. આ લેખ પરથી, આ દહેરાંના અને ઘૂમલી નગરીનો ઇતિહાસ લગભગ સાતસો થી હજાર વર્ષ જેટલા જુનો હોવાનું ફલિત થાય છે.

 

આ દહેરાં પાસે એક તળાવ છે. તેને કંસારીનું તળાવ કહેવાય છે. જ્યારે આસ પાસનાં ખંડિયારોને સોન–કંસારીનું શહેર કહેવાય છે. એનાં દહેરાંએ કાઈ મોટા પત્થામાંથી કોતરેલાં હાય તેવું લાગે છે.

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...